Sponsored Ads
.
Sponsored Ads
27 सितंबर 2025
15 जुलाई 2025
ઈ - બુક પુસ્તકો આદરણીયશ્રી ભીમશીભાઈ બાપા રચિત પુસ્તકો
28 जून 2025
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ: - લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ
પદ્મશ્રી ભીખુદાન ભાઈને સવ્યસાચી સારસ્વત એવોર્ડ:
હંસ તરંતો પરખીએ,
પાણી નદી વહંત.
સોનુ કસીને પરખીએ
માણસ વાત કહંત.
જેમની વાતોમાં વિવેક હોય, કથનની શૈલીમાં ગરિમા હોય તેમ જ જેની કહેણીમાં કઠોરતા ન હોય તેવા 'વાત ડાહ્યા' માણસો સમાજની શોભા સમાન હોય છે. ભીખુદાનભાઈમાં આ ગુણો સહજ રીતે ઉતરેલા છે.
વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતના આભૂષણ સમાન સંસ્થા છે. સાહિત્યના આજીવન ભેખધારી ધીરુભાઈ ઠાકરની નિષ્ઠાનું તેમ જ કર્મઠ જીવનનું એ અનોખું સ્મારક છે. વિશ્વકોશ તરફથી લગભગ છેલ્લા એક દાયકાથી દર વર્ષે પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ વિવિધ કલા કે સામાજિક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવને અર્પણ કરવામાં આવે છે. લોકસાહિત્યની ઉજળી પ્રથા તેમજ પરંપરાના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરનાર ભીખુદાનભાઈ ગઢવીને ૨૦૨૫ના વર્ષ માટેનો સવ્યસાચી એવોર્ડ આપવામાં આવે છે તે ઘટના સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવનાર સૌ કોઈ માટે મહત્વની તેમ જ યાદગાર ઘટના છે.
ભીખુદાનભાઇના અવાજમાં ગિરનારની ગરવાઇ છે. આજે જીવનના આઠમા દાયકે પણ હવા બાંધી લે તેવો જાદુ તેમના અવાજમાં છે. માતાજીની અસીમ કૃપા હોય તો જ આવું શક્ય બને. ભીખુદાનભાઈનું વ્યક્તિત્વ એ સૌજન્ય તથા સરળતાએ માનવદેહ ધારણ કર્યો હોય તેવું લાગે છે. ભાવનગરના ગૌરવ સમાન કવિ તથા વક્તા બળદેવભાઈ નરેલાની પાવન સ્મૃતિ ભીખુદાનભાઈને મળીએ ત્યારે થયા કરે છે. જયારે તેઓ બોલતા હોય ત્યારે તેમની વાતોમાં એક સંસ્કારધારાનો પ્રવાહ વહે છે. કુટુંબના સૌ સભ્યો સાથે બેસીને માણી શકે તેવો તેમનો વાત વૈભવ છે. મનોરંજનની વાતોમાં પણ વાણી વિવેકની મર્યાદા છે. ભગતબાપુએ માતાજી પાસે માંગણી કરી હતી તેવો ઉજળો વાણી પ્રવાહ તેમના કંઠેથી વહેતો થયો છે. ભગતબાપુ લખે છે:
ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય
સવળી જીભે બેસજે ચંડી,
(અમારી) વૈખરી વાણી જાય...
માતાજી હું એટલું માંગુ
પાયે તોય વિપળી લાગું.
ભીખુદાનભાઈ જેવા સરસ્વતી ઉપાસકોનું અક્ષરજ્ઞાન કદાચ ઓછું હોય તો પણ અંતરજ્ઞાન અગાધ છે. જાગૃતિ પૂર્વકનું લોકદર્શન એ તેમની શક્તિ છે. લોકદર્શનથી જ તેમનું લોક જોડાણ મજબૂત બને છે. તેમના પિતા ગોવિંદભાઇ ગઢવી એક સજ્જન તથા પરગજુ વ્યક્તિત્વ ધરાવતા ચારણ હતા. માણેકવાડા (જૂનાગઢ જિલ્લો)માં તેમની ખેતીની જમીન હતી. ગોવિંદબાપુને રામાયણ પ્રિય હતું. તેઓ રામાયણ ગાઈને પોતાની જાતને તેમજ સૌ સાંભળનારાઓને પ્રસન્ન કરતા હતા. તેમના કાકા રામભાઈ ગઢવી ચારણી સાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ 'અવતારચરિત્ર"ના અભ્યાસુ હતા. ભીખુદાનભાઇના સસરા મેકરણભાઇ લીલા પણ સારા કવિ હતા. મેકરણભાઇ પણ સમર્થ વાર્તાકાર ગગુભાઈ લીલાના પુત્ર હતા. ગગુભાઈ લીલાની અનેક વાતો એ સમાજને ડોલાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ તેમની અનેક વાતો પોતાના સર્જનોમાં વણી લીધી છે. લોકસાહિત્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રોમાં પણ જયારે કોઈ લોકકલ્યાણ કે લોકહિતની વાત લોકો સુધી પહોંચાડવાની હોય ત્યારે ભીખુદાનભાઈએ આવી જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. સામાન્ય રીતે વ્યવસાયિક રઝળપાટને કારણે ભીખુદાનભાઈની ઘરમાં સતત ગેરહાજરી રહે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં બહેન શ્રી ગજરાબહેને ઘરનો મોરચો સ્વસ્થતાથી સાંભળ્યો હતો અને બાળકોમાં સંસ્કાર સિંચન કર્યું હતું. તેના અનેક લોકો સાક્ષી છે.
ભીખુદાનભાઈને સુપ્રતિષ્ઠિત "પદ્મભૂષણ ડોકટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ" મળે એ સમગ્ર લોકધારાનું અદકેરું સન્માન છે. ધીરુભાઈ ઠાકરનું વ્યક્તિત્વ એ સર્વસમાવેશક હતું. તેમની સ્મૃતિમાં અપાતો આ એવોર્ડ પણ અનેક ક્ષેત્રોને અજવાળનારા લોકો સુધી પહોંચ્યો છે. જે ગૌરવપ્રદ ઘટના છે. ભીખુદાનભાઈની પ્રેરણાથી તૈયાર થયેલા લોકસાહિત્યના અનેક ઉગતા કલાકારો માટે પણ આ એવોર્ડ પ્રોત્સાહન સમાન છે. ભીખુદાનભાઈનું જીવન સ્વસ્થ તેમ જ સક્રિય રહે તેવી જગદંબા પાસે પ્રાર્થના છે.
વસંત ગઢવી
તા. ૧૬ જૂન ૨૦૨૫
લેખ બાય વસંતદાનભાઈ ગઢવી સાહેબ

